*■ મોદી ચિનુ ચંદુલાલ ■*
મોદી ચિનુ ચંદુલાલ,ઉપનામ: ઇર્શાદ (૩૦ સપ્ટેમ્બર, ૧૯૩૯) જાણીતાં ગુજરાતી કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક છે. તેમનો જન્મ ઉત્તર ગુજરાતના વિજાપુરમાં થયો હતો અને પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં થયું. માધ્યમિક શિક્ષણ તેમણે ધોળકા, અમદાવાદમાં પૂર્ણ કર્યું. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૮માં ગુજરાતી-ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૬૦માં એલએલ.બી. ૧૯૬૧માં ગુજરાતી હિન્દી વિષયોમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૬૮માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિની ઉપાધિ. ૧૯૬૧ થી ૧૯૬૪ સુધી કપડવંજ અને તલોદની કૉલેજોમાં અધ્યાપન. ૧૯૬૫ થી ૧૯૭૫ સુધી અમદાવાદની સ્વામીનારાયણ આર્ટસ કૉલેજમાં અધ્યાપક. ૧૯૭૫ થી ૧૯૭૭ સુધી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનમાં સ્ક્રિપ્ટ-રાઈટર. ૧૯૭૭ થી જાહેરાત ક્ષેત્રે ફ્રી લાન્સર, ‘રે’, ‘કૃતિ’, ‘ઉન્મૂલન’ અને હોટેલ પોએટ્સ ગ્રુપ ઍસોસિએશનના તંત્રી.
■ અભ્યાસ ■
પ્રાથમિક શિક્ષણ - વિજાપુર;
માધ્યમિક- ધોળકા, અમદાવાદ
૧૯૫૪ - મેટ્રિક
૧૯૫૮ - બી.એ. ( ગુજરાતી/ ઇતિહાસ) , ગુ.યુનિ.
૧૯૬૦ - એલ.એલ.બી., ગુ.યુનિ.
૧૯૬૧ - એમ.એ. ( ગુજરાતી/ હિન્દી) , ગુ.યુનિ.
૧૯૬૮ - ગુજરાત વિદ્યાપીઠ, વિદ્યાવાચસ્પતિ ( પી.એચ.ડી.)
■ વ્યવસાય ■
1961-64 - કપડવંજ અને તલોદની કોલેજોમાં અધ્યાપન
1965 - 75 - અમદાવાદમાં સ્વામીનારાયણ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક
1975- 77 - અમદાવાદમાં ઇસ્રો(ISRO)માં સ્ક્રીપ્ટરાઇટર
1977 થી - જાહેરાત ક્ષેત્રે ફ્રીલાન્સર
■ જીવન ■
પિતાના આઇ.એ.એસ. કરવાના આગ્રહને ઠુકરાવી ગુજરાતી શિક્ષક બનવાની હિમ્મત.
પુત્રનો કવિતાપ્રેમ પસંદ ન હોવા છતાં ચંડીપાઠી અને અનુવાદક પિતાએ પોતાના ખર્ચે તેમનો ’વસંત વિલાસ’ - સમશ્લોકી અનુવાદ છપાવી આપ્યો હતો.
જ્ઞાતિ બહાર લગ્ન કરવા માટે માતાનો પ્રકોપ વહોર્યો.
‘રે’ મઠના મુખ્ય કવિ, રાજેન્દ્ર શુકલ, લાભશંકર ઠાકર, રાવજી પટેલ વિ. સહ મિત્રો
‘રે’ , કૃતિ, ઉન્મૂલન, ઓમિસિયસ ( હોટેલ પોએટ્સ ગ્રુપ) સામાયિકોના તંત્રી
‘આકંઠ સાબરમતી’ માં લાભશંકર ઠાકર સાથે નાટ્યપ્રયોગની વર્કશોપ અંગે સંકળાયેલા હતા.
તસ્બી અને ક્ષણિકા કાવ્યપ્રકારો ના સર્જક
અકાશવાણી અને ટી.વી. પર ઘણા કાર્યક્રમો આપ્યા છે
વિદેશમાં અનેક પ્રવાસો અને કવિતા સર્જન માટેની વર્કશોપો કરી છે.
માતા-શશિકાન્તા; પિતા- ચંદુલાલ
પત્ની: ૧. લગ્ન – ૧૯૫૮ (કડી), ૨. હંસા – ૧૯૭૭ (અમદાવાદ)
સંતાનો: ત્રણ
■ સર્જન ■
*ચિનુ મોદીએ કુલ ૫૨ પુસ્તકોનું સર્જન કર્યું છે.*
કવિતા- વાતાયન, ઊર્ણનાભ, શપિત વનમાં, દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલીમાં, ઈર્શાદગઢ , બાહુક ( નળાખ્યાન આધારિત ખંડકાવ્ય), અફવા , ઈનાયત, પર્વતને નામે પથ્થર
નાટક - ડાયલનાં પંખી ( પદ્યમાં એબ્સર્ડ એકાંકી), કોલબેલ, હુકમ માલિક, જાલકા, અશ્વમેઘ
નવલકથા- શૈલા મજમુદાર ( આત્મકથાનક) , ભાવચક્ર, લીલા નાગ, હેંગ ઓવર, ભાવ અભાવ ( વિશેષ જાણીતી કથા), પહેલા વરસાદનો છાંટો
વાર્તાસંગ્રહ - ડાબી મૂઠી, જમણી મૂઠી( પદ્ય-સભર વાર્તાઓ)
વિવેચન - મારા સમકાલીન કવિઓ, બે દાયકા ચાર કવિઓ, ખંડકાવ્ય સ્વરૂપ અને વિકાસ
ચરિત્ર - કૃષ્ણલાલ શ્રીધરાણી
સંપાદન - ગુજરાતી પ્રતિનિધી ગઝલો, ચઢો રે શિખર રાજા રામના, ગમી તે ગઝલ
અનુવાદ - વસંતવિલાસ ( મધ્યકાલીન ફાગુકાવ્યોનો અનુવાદ)
એમની પ્રારંભકાળની ‘વાતાયન’ (૧૯૬૩)ની કવિતા સંવેદન અને છંદઆયોજન પરત્વે અનુગાંધીયુગીન સૌંદર્યલક્ષી કવિઓની કવિતાને અનુસરે છે; પરંતુ ‘રે મઠ’ના કવિમિત્રોના સંપર્કમાં આવ્યા પછી તરત એમની કવિતામાં આધુનિક કવિતાનો મિજાજ પ્રગટ થાય છે. ‘વાતાયન’ની રચનાઓને સમાવી એમાં બીજી રચનાઓ ઉમેરીને પ્રગટ કરેલા સંગ્રહ ‘ઊર્ણનાભ’ (૧૯૭૪)ની કવિતામાં છાંદસની સાથે અછાંદસ કવિતા રચવાનું વલણ દેખાય છે. ત્યારપછી પ્રગટ થયેલા ‘શાપિત વનમાં’ (૧૯૭૬) અને ‘દેશવટો’ (૧૯૭૮)ની રચનાઓમાં એ વલણ વિશેષ પ્રભાવક બને છે. જીવન પ્રત્યેની નિર્ભ્રાન્તિ, એકવિધ જીવન પ્રત્યેની ઉબક, માનવસમાજે ઊભાં કરેલાં મૂલ્યોની મજાક વગેરે આધુનિક સંવેદન એમાં વ્યક્ત થાય છે. અછાંદસ રચનાઓની સાથે ગઝલ પણ ‘રે મઠ’ના કેટલાક કવિમિત્રો દ્વારા આધુનિક મિજાજની વાહક બની પોતાનું નૂતન રૂપ સિદ્ધ કરે છે. ગઝલનું આ નૂતન રૂપ સિદ્ધ કરવામાં આ કવિનો પણ અગત્યનો ફાળો છે તે ‘ક્ષણોના મહેલમાં’ (૧૯૭૨), ‘દર્પણની ગલીમાં’ (૧૯૭૫) અને ‘ઇર્શાદગઢ’ (૧૯૭૯)ની ગઝલોમાં જોઈ શકાય છે. ‘તસ્બી’ પ્રકારની નવા સ્વરૂપવાળી ગઝલ કવિનો પોતીકો ઉન્મેષ છે. ‘બાહુક’ (૧૯૮૨) ‘નળાખ્યાન’ના પૌરાણિક પાત્ર બાહુકને વિષય બનાવી સંસ્કૃતાઢય શૈલી અને અલંકારવૈભવથી ખંડકાવ્યના નૂતન રૂપને સિદ્ધ કરવા મથતું, નગરવિયોગને વાચા આપતું પરલક્ષી કાવ્ય છે.
‘રે મઠ’ના કવિમિત્રો સાથે રહી કવિતાની સાથે નાટ્યરચનામાં પણ પ્રયોગશીલ વલણ એમનાં નાટકોએ દાખવ્યું છે તે ‘ડાયલનાં પંખી’ (૧૯૬૭)નાં પદ્યમાં રચાયેલાં ઍબ્સર્ડ એકાંકીઓ બતાવે છે. આ અને પછીનાં ‘કૉ